Gujarat
ગુજરાત કોંગ્રેસના નેતાઓના દિલ્હી દરબારમાં ધામા : પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની વિકેટ પડી શકે..
કુવાડિયા
વિધાનસભાની ચૂંટણીમાં ૩૫ ટિકીટોના સોદા કરવામાં આવ્યા હોવાના ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટ બાદ હાઈકમાન્ડ સ્તબ્ધ – અમિત ચાવડા , અર્જુન મોઢવાડિયા , શૈલેષ પરમાર , દીપક બાબરીયા અને હિંમતસિંહ સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા
ગુજરાતમાં ડીસેમ્બર ૨૦૨૨ માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ હતી અને માત્ર ૧૭ બેઠકો ઉપર સમેટાઈ ગઈ હતી. ૨૦૧૭ માં કોંગ્રેસ જ્યાં ૭૭ બેઠકો જીતી હતી એ જ કોંગ્રેસ ૨૦૨૨ માં ૧૭ બેઠકો ઉપર આવી જતાં હાઇકમાન્ડ પણ ચોંકી ઊઠ્યું હતું. ગુજરાતમાં થયેલી ભૂંડી હારના કારણો શોધવા માટે ૩ સભ્યોની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી હતી અને આ ત્રણ સભ્યોએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા. આખરે આ કમિટીએ હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો છે અને તેમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં હવે મોટાપાયે ફેરબદલ નક્કી છે અને જેના કારણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં પહોંચ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ હાઈકમાન્ડ દ્વારા ત્રણ સભ્યોની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના ૪ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ કરવામાં આવી હતી. આ કમિટીએ તાજેતરમાં હાઈકમાન્ડને રિપોર્ટ સોંપ્યો છે અને તેમાં ચોંકાવનારા ખુલાસ કરવામાં આવ્યા છે. હાઈકમાન્ડે નક્કી કરેલા ૩૫ ઉમેદવારોને બદલી નાખવામાં આવ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
માત્ર એટલું જ નહી પણ ૩૫ બેઠકોની ટિકીટના સોદા પણ કરી નાખવામાં આવ્યા હતા. પાછલા બારણે નેતાઓએ વ્હાલા વલાની નીતિ અપનાવી હતી અને જેના કારણે કોંગ્રેસનો રકાસ થયો હતો. અનેક ઠેકાણે કોગ્રેસના નેતાઓએ જ પાર્ટી વિરુદ્ધ્ કામ કર્યું હતું અને કોંગ્રેસને હરાવવા માટે ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસના અમિત ચાવડા , અર્જુન મોઢવાડિયા , શૈલેષ પરમાર , દીપક બાબરીયા અને હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ દિલ્હીમાં પહોંચ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે નજીકના વિસોમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની વિદાય નક્કી છે. વિધાનસભાની ચૂંટણી સમયે ટિકીટની વહેંચણીને લઇ કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે પૈસા લઇને ટિકીટ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને જગદીશ ઠાકોર ઉપર નિશાન તાક્યું હતું. હવે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમાં પણ આ જ ખુલાસો થયો છે અને ગુજરાતના કેટલાક નેતાઓએ પાછલા બારણે ટિકીટોના સોદા કર્યા હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. હાઈકમાન્ડે મંજૂર કર્યા હોય તેવા ઉમેદવારોને બદલી નાખવામાં આવ્યા હતા. હાઇકમાન્ડ હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરી શકે છે અને જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની વિદાય નક્કી માનવામાં આવી રહી છે. પ્રભારી તરીકે રઘુ શર્મા અગાઉ રાજીનામું આપી ચૂક્યા છે ત્યારે નવા પ્રભારીની નિમણૂક પણ કરવામાં આવી શકે છે.