“વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે કિસાન દિનની ઉજવણી થઈ
દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે ગઈકાલે સોમવારે ધોરણ – ૧ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શાળામાં “કિસાન દિન” ની ઉજવણી કરી. શાળાનાં સંચાલકશ્રી પી.કે. મોરડીયાએ તમામ વિદ્યાર્થીઓને આ દિવસ વિશે ઘણી બધી માહિતી પુરી પાડી હતી. જેવી કે, આ દિવસને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કારણ કે, ખેડૂતોને ભારતનાં આર્થિક વિકાસની કરોડરજ્જુ માનવામાં આવે છે. કિસાન દિવસની ઉજવણી દર વર્ષે લોકોમાં, સમાજમાં ખેડૂતોનાં મહત્વ અને દેશના સર્વાંગી આર્થિક અને સામાજીક વિકાસ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રોત્સાહન મળે અને તેમના યોગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું. ધોરણ – ૧૧ (આર્ટ્સ/કૉમર્સ)નાં વિદ્યાર્થી ભાઈઓ/બહેનો દ્વારા કિસાન દિન નિમીત્તે એક નાટકનું પણ આયોજન થયુ હતું.વિદ્યાર્થી ભાઈઓ/બહેનોએ કિસાન દિન વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં પોતાનું વક્તવ્ય આપ્યુ હતું. વિદ્યાર્થીઓએ અન્નનો બગાડ નહિ કરવાનાં આ દિવસે શપથ પણ લીધા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.