ભાવનગર વડવા વિસ્તારમાં રહેતું દંપતીએ તળાવમાં સજોડે પડતું મૂકી આપઘાત કર્યો, આજે બીજા દિવસની શોધખોળ બાદ લાશ મળી, આત્મહત્યાનું કારણ પોલીસ તપાસ બાદ ખુલશે, અરેરાટી
હરેશ પવાર
ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા દંપતીએ ગઈકાલે ગુરુવારે સાંજે સિહોર નજીકના ખોડિયાર મંદિર દર્શન કરી તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેમાં સઘન શોધખોળના અંતે બીજા દિવસે બંનેની પતિ-પત્નીની લાશ મળી આવી હતી.શહેરના વડવા નેરા વિસ્તારમાં રહેતા પ્રતાપ સોલંકી અને તેની પત્ની ચકુબેન સંતાનમાં બે પુત્રી એક પુત્ર ધરાવે છે. આ દંપતિ ગઈ કાલે તેના ઘરે બેંકમાં પૈસા ઉપાડવા જવાનું કહી ગુમ થયું હતું.
તેઓ રાજપરા ખોડિયાર મંદિરે પહોંચી જયાં દર્શન કરી મંદિર પાછળ આવેલા ખોડિયાર તળાવમાં સજોડે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ સિહોર પોલીસ તથા ફાયરબ્રિગેડને કરતાં સિહોર ફાયરબ્રિગેડ તથા ભાવનગરથી ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મોડી સાંજ સુધી ઉંડા પાણીમાં તપાસ કરી હતી. પરંતુ લાશ મળી ન હતી.
આથી આજે સવારે ફરી તપાસ હાથ ધરતા મૃતક પ્રતાપ સોલંકી ઉ.વ.35 અને ચકુબેન ઉ.વ.32ની ભારે જહેમત બાદ બંનેની લાશ મળી હતી. આ દંપતી એ કયાં કારણોસર આપઘાત કર્યો એ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસના અંતે સમગ્ર બાબત પરથી પર્દો ઉચકાશે બનાવને લઈ સિહોર પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ, મામલતદાર, ટીડીઓ, સહિત ભાજપના કાળુભાઇ ચૌહાણ, ગેમાભાઈ ડાંગર ઘટના સ્થળે પોહચ્યા હતા સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર સંભાળ્યો છે.