સિહોર પૂર્વ પ્રમુખોની તકતીઓ થઈ રહી છે ગાયબ-તપાસનો વિષય
હરેશ પવાર
સિહોર રાજકારણમાં મોટી ગડમથલ થાય તેવા એંધાણ આપતી બે ઘટનાઓ આજના દિવસમાં બની જવા પામી છે જેને લઈને સિહોરના સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. એક સિહોર નગરપાલિકાના શાસક પક્ષના નગરસેવક અને પાલિકાના પૂર્વ પ્રમુખ એવા દીપશનગભાઈ રાઠોડ કે જે પ્રજાની સમસ્યાઓ માટે હર હંમેશ તંત્ર સામે લડત આપે છે.
જેની સિહોર ગૌતમેશવર રોડ ઉપર આવેલ ધારનાથ મહાદેવ પાસે આવેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખના નામની તકતી નીકળી જવા પામી હતી. જ્યારે હવે એ તપાસનો વિષય બન્યો છે કે કોઈ અસામાજીક તત્વો એ આ તકતી ધરાશાય કરી છે કે પછી તકતી નીકળી ગઈ છે.
જ્યારે આ ઘટના બન્યાના થોડા કલાકોમાં જ સિહોર શહેરમાં વધુ એક પાલિકા પૂર્વ પ્રમુખ ની તકતી ગાયબ થઈ જતા શહેરમાં ચર્ચાઓ એ જોર પકડ્યું હતું. જેમાં સિહોરના રાજીવનગર પાણીના ટાંકાની દીવાલ ઉપર લગાવેલ પૂર્વ મહિલા પ્રમુખ દીપ્તિબહેનની તકતી ગાયબ થઈ જતા તપાસનો વિષય બની જવા પામ્યો હતો.
સમગ્ર ઘટનાને લઈ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.એક તરફ ફિલ્ટર પ્લાન્ટનું ગૂંચવાયેલ કોકડું હજુ ઉકેલાયું નથી ત્યારે આ તકતીઓ ગાયબ થવાની ઘટના આશ્ચર્ય સર્જાવી રહી છે.