Talaja
તળાજાના ખેડૂતોએ ડુંગળીમાં ઘેટા-બકરા છુટા મૂકી દીધા : પાક પર ફેરવી દીધા મશીન
દેવરાજ
- આવા ભાવ કરતા માલ સડી જાય એ સારૂ : તળાજા યાર્ડમાં હરાજી બંધ કરાવી દીધી : સૌરાષ્ટ્રભરમાં કકળાટ : રાજસ્થાનનો માલ પણ આવવા લાગ્યો : માથે પડતો બારદાનનો ખર્ચ
સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવ તળીયે પહોંચી જતા ખેડૂતોએ માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. સરકાર પાસે મદદનો પોકાર થવા લાગ્યો છે. ત્યારે હવે ખેડૂતો જાતે પાકને ફેંકવા લાગ્યા છે. ગઈકાલે તળાજા યાર્ડમાં ભાવ સાંભળી ખેડુતોએ ડુંગળી ન વેંચવા નિર્ણય કર્યો હતો. તો અમુક ખેડૂતો ડુંગળીના પાકમાં ઘેટા-બકરા ચરાવવા છુટા મૂકી રહ્યા છે. અમુક કિસાનોએ પાકમાં રોટાવેટર મશીન ફેરવી દીધાના પણ અહેવાલ છે. ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ગઇકાલે ડુંગળી લાવવા ની છૂટ આપતા યાર્ડ ના કમ્પાઉન્ડ અને યાર્ડ દ્વારા બાજુમાં રાખવામાં આવેલ હંગામી જગ્યામાં ડુંગળીની ગુણીઓ ભરી દીધી હતી.માત્ર ચારેક કલાકમાં જ અત્યાર સુધીની બમ્પર આવક સાઈઠ હજાર ગુણી ની થઈ ગઈ હતી.જેને લઇ હરાજી મા ચાલીસ થી એકસો રૂપિયા અને સરેરાશ સાઇઠેક રૂપિયા ભાવ ઉપજતા ખેડૂતો ને રડવાનો વખત આવી ગયો હતો. રોષે ભરાયેલા આશરે પાંચસોથી વધુ ખેડૂતોએ આ ભાવે ડુંગળી ની હરાજી થાય તેના કરતાં તો અહી યાર્ડમાં જ ડુંગળી ભલે સડી જાય પરંતુ વેચવી નથી.
તેવો સામૂહિક નિર્ણય લઈ હરાજી જ બંધ કરાવી દીધી હતી. ખેડૂતો એ સામૂહિક રીતે હાથમાં ડુંગળી ના દડાઓ લઈ ભાજપ સરકાર ભાવ આપો…ભાવ આપો ના સૂત્રોચાર પોકાર્યા હતા.ખેડૂતો ની માગણી હતીકે સરકાર ભૂતકાળ ની જેમ દરેક ગુણી ઉપર સબસિડી આપે.બીજી તરફ તળાજા ના ઘાંટરવાળાં ગામના ખેડૂત પંડ્યા સુરેશભાઈ વજેરાંભાઇ એ પોતાના ખેતરમાં ડુંગળી ના ઊભા પાક મા રોટોવેટર ફેરવી દીધું હતું.દસ વીઘા મા ડુંગળી વાવી હતી.જેનો આજ સુધીનો ખર્ચ ચારેક લાખ થાય છે.નવા સાંગાણા ગામના સરપંચ બળદેવસિંહ સરવૈયા એ પોતાના ખેતર માં પાચ વિધામાં ડુંગળી વાવી હતી. જે સતત ભાવ ઘટવાના કારણે અને યાર્ડમાં લઈ જવી પણ મોંઘી પડે.બારદાનમાં ભરવાના રૂપિયા પણ મોંઘા પડે તેવી સ્થિતિ નિર્માણ પામતા ડુંગળી ના પાકમાં ઘેટા બકરા ચરાવવા મૂકી દીધા હતા.આમ લાખો રૂપિયા ની નુકશાની ભોગવવા નો ખેડૂતો ને વખત આવ્યો છે.આટલું ઓછું હોય તેમ આંતર રાજ્યમાં ડુંગળી મોકલવા માટે ના ટ્રક ની અછત વરતાઈ રહી છે.સાથે ત્યાંથી પરત ભાડું ન મળવાના કારણે ભાડામાં પણ ત્રણ થી ચાર હજાર રૂપિયા નો વધારો થતાં એ પણ ખેડૂતોને ઓછા ભાવ મળવા નું કારણ બન્યું છે.